સર્ગ  બીજો

 ભગવતી શ્રી માતાની આરાધના

 

વસ્તુનિર્દેશ

 

        જીવને જયારે પોતાના આત્માનો-કેવળ આત્માનો પૂરેપૂરો સાક્ષાત્કાર થાય છે ત્યારે એને એકમાત્ર નિ:સ્પંદતાનો ભેટો થાય છે. આ નિ:સ્પંદતા દીવાલ બનીને એને જગતથી અળગો પાડે છે. બધા ગોચર અનુભવોને એ ગળી જાય છે, મને જે જાણ્યું હોય તે બધું અસત્ બની જાય છે. અચિંત્ય અને અનામ માત્ર સ્થળ-કાળમાં અવિશિષ્ટ રહે છે. વિચાર સરી જાય છે, હર્ષશોક વિરમે છે, અહંભાવ મરી જાય છે. જન્મ-મરણ, કાર્ય ને નિર્માણમાંથી આપણો મોક્ષ થયેલો હોય છે.

         પણ આ તો પરમાત્માની અસીમ નિ:શબ્દતા છે, સુખભરી ઊંડી ગહનતા છે. એ જ એક લક્ષ્ય હોય તો પછી જીવ જેને માટે જગતમાં આવ્યો છે તેનું શું ? આત્માની શક્તિનું શું ? આપણી જાત તેમ જ જગત બનેલ જે એક આપણામાં છે તેના તારકમંડળ નીચેના ઉદ્દેશનું શું ? છટકી જવામાં વિજય રહ્યો નથી, તાજ એમ મળતો નથી. પ્રભુનું અર્ધ કાર્ય જ થયેલું હોય છે, કશુંક પૂરું પ્રાપ્ત થયું નથી, ને જગત તો ચાલતું 'તું તેમ ચાલતું જ રહે છે. નિત્યની 'ના' નજીક આવી છે, પણ પરમ પ્રેમીની 'હા' ક્યાં છે ? 'ઓમ્' નું તથાસ્તુ ક્યાં છે ? પ્રહર્ષ ને પરમ શાંતિ વચ્ચે સેતુ બંધાયો નથી, દિવ્ય 'વધુ' નો ઉમળકો અને સૌન્દર્ય નથી. જેમાં મહાન વિરોધીઓનાં પરસ્પર ચુંબન થાય છે તે મહાખંડ ક્યાં છે ? પરિત્રાતા સ્મિત ને સોનેરી શિખર ક્યાં છે ? કાળો પડદો ઉઠાવાયો છે ને પ્રભુની ઘોર છાયા દેખાઈ છે, પ્રકાશનો પડદો ઉઠાવવાનું બાકી છે. રાજરાજના દેહનાં દર્શન કરવાનાં છે. પ્રભુના જન્મની ને કર્મની રહસ્યમયતા રહી ગઈ છે. અધૂરી લીલાનો કોયડો ઉકેલાયો નથી. વિશ્વનો લીલાધર છદ્મમાં હસે છે. માનવ મૂર્ત્તિના ને નામના મહિમાની પાછળ અંતિમ રહસ્ય છુપાઈ રહેલું છે. એક મોટી શુભ્ર રેખા લક્ષ્ય બની પણ દૂર-સુદૂર અવર્ણનીય સૂર્યના પ્રદેશો પ્રકાશી રહેલા છે. અકાળ પ્રતિ આંખ ઊઘડી છે, અનંતતાએ પોતાનાં આપેલાં રૂપ પાછાં ખેંચી લીધાં છે. પ્રભુના અંધકારની તેમ જ

૧૧૧


 જ્યોતિની આરપાર થઈ એણે પોતાનાં કિરણોને મૂળ સવિતામાં પાછાં વાળી દીધાં છે.

           પરમાત્માની શૂન્યરૂપ એક સંજ્ઞા છે, એમાં બધું જ રહેલું છે. એના વાઘા વિદીર્ણ થાય છે ત્યારે જીવનું અજ્ઞાનમાત્ર હણાય છે, જીવ પોતે હણાતો નથી. 'नेति नेति' માં અંતિમ સર્વ આવી જતું નથી. નિર્વાણ કંઈ પ્રભુનો આખરી શબ્દ નથી.

            સંપૂર્ણ નીરવતામાં એક સંપૂર્ણ શક્તિ સૂતેલી છે. એ જાગે છે ત્યારે તે લયલીન જીવને જગાડે છે ને કિરણમાત્રામાં પૂર્ણ સૂર્યને પ્રગટ કરે છે. જગત પરમાત્માનું પાત્ર બની જાય છે, માટીમાં પ્રભુના પૂર્ણ સ્વરૂપનું નિર્માણ શક્ય બની જાય છે. આત્માની મુક્તિ એક પ્રકાશમાન પગલું છે, પોતાને પૂર્ણતયા અહીં પ્રકટ કરવો એ પ્રભુની ઈચ્છા છે.

             અશ્વપતિ આમ આત્માની ધાર પર ઊભો ત્યારે જ સાન્નિધ્યની પોતે ઝંખના કરતો હતો તે સાન્નિધ્ય એની સમીપમાં  આવ્યું. એ હતું અદભુત ને મહામધુર, અનંત અને નિરપેક્ષ કેવળ પૂર્ણતાનું સ્વરૂપ. મા જેમ બાળકને તેમ તેણે જગતને ને જીવને હૈયે લીધાં. એ સુખમયી, સૌન્દર્યમયી અને જ્યોતિર્મયીએ અશ્વપતિને હૃદયે જતો સુવર્ણ માર્ગ રચ્ચો, અને રાજાના દ્વારા સારા સચેતન સંસારને સ્પર્શ કર્યો.

              એના એક ક્ષણના માધુર્યે જગતના મિથ્થાત્વને મિટાવી દીધું. અચેતન વિશ્વમાં એક દિવ્ય હૃદયના ઘબકાર અનુભવાયા. પાર વગરના કાળને ભારને હરી લઇ એણે બધું સુખમય બનાવ્યું. પ્રભુની પ્રમદાનું રહસ્ય પકડાયું ને સૂર્યોનો પરિશ્રમ સાર્થક બની ગયો. કેમ કે પ્રભુની પાછળ વિરાજતી માતૃશક્તિ સર્વથી પર હોવા છતાંય કોઈનો ઇનકાર કરતી નહી. સર્વે દેવોની એ માતા હતી,  સર્વે તેજોની એ જનની હતી.મધ્યસ્થા બની પૃથ્વીને એ પરમાત્માની સાથે સંયોજતી હતી. એની સાથે આત્માનું ઐક્ય થતાં અજ્ઞાનનો અંત આવતો, દુરિતોના દોર કપાઈ જતા, આસુરી વિરોધો અંતરાય ઊભો કરી શકતા નહીં. એના સાન્નિધ્યમાં જીવન લક્ષ્ય વગરના પતન જેવું રહેતું નહીં. નિર્માણમાં માત્ર મુક્તિ નહીં, વિશાળ અવકાશોમાં આવેલું મહાહૃદય અનુભવાતું. જ્વલંત પ્રેમ પ્રગટતો ને તે અજ્ઞાન-ગર્તની યાતનાઓને સમાપ્ત કરતો, એક અમર સ્મિતમાં દુઃખમાત્ર પ્રલય પામતું, પારાપારનું જીવન મૃત્યુનો વિજેતા બની જતું.

              આ માતૃસ્વરૂપમાં સરૂપ અને અરૂપ ઉભય એક બની જતા, પ્રકાશ અને પેમ આગળ પાપ આવી શકતું નહિ, એક મુખધારી અનંતનાં દર્શન થતા. આ મહામાતા રાત્રિમાં છુપાયલી રહસ્યમયતા છે, સુવર્ણનો સેતુ છે, અલૌકિક અદભુત અગ્નિ છે. એ છે અજ્ઞાતનું ઓજસ્વી હૃદય, પ્રભુના અંતરમાં રહેલી મૌનમયી શક્તિ, અમોધ શબ્દ, ઊંચે આકર્ષતું ચુંબક, સૂર્યોને પ્રકટાવનાર સૂર્ય.

૧૧૨


        આખી પ્રકૃતિ એને માટે મૂક પોકાર કરે છે . એનાં દર્શન થતાં વાર અશ્વપતિનો આત્મા એની જવાળામાં ઝલાઈ ગયો. હવે તો એને માટે એ જ એક સર્વસ્વ બની ગઈ. રાજાનાં અન્ય લક્ષ્યો માની અંદર સમાઈ ગયાં, ને પાછાં દિવ્યતર રૂપે પુનઃપ્રાપ્ત  થયાં. હવે અશ્વપતિ એક એને જ જીવનમાં જીવંત બનાવવાની ધગશ રાખતો બની ગયો. વિશાળભાવી આત્મસમર્પણ એનું એકમાત્ર મહાબળ બની ગયું. હવે માના પ્રેમનો, મના સત્યનો ને માના આનંદનો નિર્મુક્ત ને નિરામય બનાવતો  સ્પર્શમાત્ર એની પ્રાર્થનાનો પોકાર બની ગયો, એની ઝંખનાનો વિષય બની ગયો. અશ્વપતિનો આત્મા મુક્ત બનીને મુક્ત ભાવે એક એને અર્પાઈ ગયો.

 

નરી નિ:સ્પંદતા એક અપ્રકાશ્ય પ્રકારની

ભેટે છે અંતરાત્માની પૂરેપૂરી થાય છે શોધ તે સમે;

નિ:સ્પંદતાતણી એક ભીંતે એને જગથી અળગો કરે,

નિ:સ્પંદતાતણો ઊંડો ગર્ત જાય ગળી ઇન્દ્રિયજ્ઞાનને,

ને મને હોય જાણ્યું જે

ને હજી શ્રમથી જેને ઇન્દ્રિયો વણવા ચહે

અને લંબાવવા માગે કલ્પનાના બિંબરૂપ અસત્યને,

તેને સૌને અવાસ્તવિક દે કરી.

અધ્યાત્મ મૌન આત્માનું વસવાટ કરી દે અવકાશમાં;

અવશેષે રહે એકમાત્ર અચિંત્યરૂપ જે

દિક્-કાળ પારનો બાકી અનામી એકલો રહે :

જિંદગીની બોજરૂપ  ટળી જંજાળ જાય છે : 

આપણી પાસથી દૂર સરી વિચાર જાય છે,

હર્ષ-શોક આપણા વિરમી જતા;

અહંતા મૃત્યુ પામે છે,

ને અસ્તિત્વ અને ચિંતાભારમાંથી આપણે મુક્ત થૈ જતા,

આપણા જન્મ ને મૃત્યુ, કર્મ ને ભાગ્ય, સર્વનો

અંત આવેલ હોય છે.

ઓ જીવ !  અતિશે  વ્હેલો છે તું આમોદ માણવા !

પ્હોંચ્યો છે બ્રહ્ય કેરા સીમારહિત મૌનમાં,

કુદીને તું પડેલો છે સુખના દિવ્ય ગર્તમાં;

ફેંકી ક્યાં કિંતુ દીધાં તેં

આદિષ્ટ કાર્ય આત્માનું અને શક્તિય આત્મની ?

ક્યા મરેલ કાંઠાએ સનાતનતણા પથે ? 

૧૧૩


હતો જે એક તારામાં આત્મા ને વિશ્વ સામટો

તેના તેં તારકોમાંના ઉદ્દેશાર્થે કર્યું કશું?

નાસી જનારને માટે નથી વિજય ને નથી

મહામુકુટ સિદ્ધિનો !

કંઈક કરવાને તું આવેલો છે અજ્ઞાતમાંહ્યથી અહીં, 

પણ સિદ્ધ થયું ના કૈં ને ચાલે છે તેમ ચાલી રહ્યું જગત્ ,

કેમ કે પ્રભુનું વિશ્વકાર્ય માત્ર અરધું જ થયેલ છે.

'નકાર' નિત્યનો માત્ર આવ્યો છે તુજ પાસમાં

તારી આંખોમહીં મીટ માંડી એણે હૈયું તારું હણેલ છે : 

'હકાર'  કિંતુ પ્રેમીનો કહીં છે સર્વકાળનો ?

ગુપ્ત હૈયાતણી ક્યાં છે અમર્ત્યતા ?

ક્યાં છે અવાજ ગાનારો સ્તોત્ર સર્જક અગ્નિનું ?

પ્રતીકાત્મક ઓંકાર, મહાશબ્દ ક્યાં છે ' તથાસ્તુ' બોલતો ?

સંયોજનાર ક્યાં સેતુ શાંતિને ને પ્રહર્ષને ?

ભાવાનુરાગ-સૌન્દર્ય ક્યાં છે દિવ્ય વધૂતણાં?

ક્યાં છે સદન ચૂમે જ્યાં મહિમાવંત શત્રુઓ ?

ક્યાં છે સ્મિત પરિત્રાતા ? ક્યાં છે સોના-શૃંગ સૌ વસ્તુઓતણું ?

નિગૂઢ જિંદગી કેરા મૂળમાં આ ય સત્ય છે.

પડેલો પડદો કાળો એક છે ઊંચકાયલો;

આપણે અવલોકી છે છાયા મોટી સર્વજ્ઞ પરમેશનિ;

પરંતુ જ્યોતિનો કોણે પડદો ઉંચકેલ છે

ને રાજરાજના દેહતણાં દર્શન છે ક્યાં ?

પ્રભુનાં જન્મ ને કર્મતણું ગુહ્ય ગુહ્યરૂપે રહી જતું

છેલ્લા અધ્યાયની સીલ તોડયા વગરની તજી,

અધૂરી નાટ્ય લીલાનો કોયડો યે રહે છે અણ-ઊકલ્યો;

વિશ્વલીલાતણો લીલાનટ હાસ્ય કરે છે છદ્મવેશમાં,

ને છતાં યે છેલ્લું અક્ષત ગુહ્ય તો

માનવી રૂપમાં મૂર્ત્ત મહિમાની

ને એક નામની સ્વર્ણ-પ્રતિમા પૂઠ છૂપતું.

લક્ષ્યનું રૂપ લેનારી શુભ્ર એક રેખા મોટી રહેલ છે,

કિંતુ તેની પારપાર

અનિર્વાચ્ય પ્રદેશો છે સૂર્ય કેરા ભભૂકતા.

ઉદભવસ્થાન ને અંત જેવું જે લાગતું હતું

તે વિશાળું હતું દ્વાર,  

૧૧૪


ખુલ્લું પગથિયું  છેલ્લું શાશ્વતીમાં લઇ જતું. 

અકાલતા પરે એક આંખો છે ઉઘડી ગઈ,

પોતે જે રૂપ આપ્યાં 'તાં તેમને લે પાછાં ખેંચી અનંતતા,

અને પ્રભુતણા અંધકામાં કે

એની ખુલ્લેખુલ્લી જ્યોતિમહીં થઇ 

કોટિક કિરણો એનાં ફરી પાછાં પ્રવેશે સૂર્યની મહીં.

પરમાત્માતણી એક સંજ્ઞા છે શૂન્યરૂપિણી;

નગ્નસ્વરૂપ છોડાતી પ્રકૃતિ યે પ્રભુને પ્રકટાવતિ.

કિંતુ પ્રકૃતિની ભવ્ય શૂન્યતામાં સઘળું જ રહેલ છે :

આપણી પરથી એના વાઘા સજ્જડ જે સમે

વિદારીને કરાયા હોય વેગળા,

ત્યારે હણાય અજ્ઞાન આત્મા કેરું, પણ આત્મા હણાય ના.

અમર્ત્ય મુખને એક સંતાડી શૂન્ય રાખતું.

એક ઊંચા અને કાળા ઇનકારે બધું આવી જતું ન કૈં,

વિરાટ-કાય નિર્માણ અંત્ય શબ્દ ન ઇશનો,

જિંદગીનો અર્થ એ આખરી નથી,

ન આત્માની યાત્રાનું અવસાન એ,

ન એ તાત્પર્ય આ મોટા રહસ્યમય વિશ્વનું.

સંપૂર્ણ મૌનમાં સૂઈ રહેલી છે સંપૂર્ણ શક્તિ કેવલા.

જાગતાં એ છે સમર્થા લયે લીન જીવનેય જગાડવા

પ્રભાકિરણમાં પ્રાદુર્ભાવ મૂળ સૂર્યનો એ કરી શકે:

બ્રહ્યની શક્તિને માટે પાત્રરૂપ બનાવી વિશ્વને શકે,

માટીમાં પરમાત્માનો પૂર્ણ ઘાટ ઘડી શકે.

આત્માને કરવો મુક્ત એ છે માત્ર પગલું એક ઊજળું;

સ્વરૂપ કરવું સિદ્ધ અહીંયાં છે પ્રભુનો અભિલાષ એ.

 

ઊભો પોતે હતો સત્-તા કેરી ખુલ્લી કિનાર પે,

ને એના સત્ત્વના સર્વ ભાવાવેશે ભરેલા અનુરાગને

ને એની સર્વ ખોજને

રૂપરેખા વિનાના કો વિરાટમાં

પ્રલીન થઇ જવાનો ઉપસ્થિત સમો હતો

ઠીક તે સમયે પોતે ઝંખતો 'તો

ને સાન્નિધ્ય સરી આવ્યું અણચિંત્યું સીમપમાં.

પરમા ચરમા છે તે શાંતિના મૌનમાં થઇ,

૧૧૫


આશ્ચર્યમય કો એક સર્વાતીતતણા ગહન હાર્દથી

દેહે અદભુતતાના ને સ્ફટિકોપમ દીપ્તિના

આવ્યું અનંત કો એક પૂર્ણ પ્રભાવથી ભર્યું,

જાણે કે નિજ આત્માની મીઠડી ને ગૂઢ સંક્ષિપ્તરૂપતા

આદિ આનંદને ધામે પલાયિતા

શાશ્વતીમાંહ્યથી બ્હાર આવી હોય બૃહત્તા રૂપની ધરી.

પ્રજ્ઞાનો  એ હતી આત્મા, હતી આત્મા શક્તિનો ને મુદાતણો,

મા જેમ સ્વભુજાઓમાં લઇ લે નિજ બાળને

ઠીક તેમ જ તેણેયે પોતાને હૃદયે ધર્યાં

સારી પ્રકૃતિને, સારા જગને અથ જીવને.

વિલોપિત કરી નાખી સંજ્ઞારહિત શૂન્યને,

પાડી ભંગાણ ત્યાં ખાલીખમમાં ને નીરવ ચૂપકીમહીં,

સીમાથી મુક્ત છે એવું ભેદી અજ્ઞેયરૂપને,

ચેષ્ટારહિત ઊંડાણો કેરા સ્વાતંત્ર્યની મહીં

સુષમાએ  ભરી એક સુખકારી આભા છાની પ્રવેશતી

ને વિસ્મિત કરી દેતા રશ્મિપુંજતણું સ્વરૂપ ધારતી,

ને અશ્વપતિને હૈયે જતો એક સ્વર્ણ-માર્ગ બનાવતી,

ઝંખતી ચેતનાવંતી વસ્તુઓને

એના દ્વારા નિજ સ્પર્શ સમર્પતી.

સર્વસૌંન્દર્યમયના માધુર્યે ક્ષણ-એકના

વિશ્વની ઘૂમરી કેરો મિથ્થાભાસ મિટાવિયો.

અચેત વિશ્વમાં દિવ્ય હૃદયે એક સ્પંદતી

આવી અનુભવે સૃષ્ટિ નિસર્ગની;

એણે ઉચ્છવાસને રૂપ આપ્યું એક સુખી નિગૂઢતાતણું

ને આણ્યો પ્રેમ આનંદે લેતો જે દુઃખને સહી;

પ્રેમ જે દુઃખનો ક્રોસ હર્ષભેર ઉપાડતો,

જગના શોકને આત્મપ્રસાદે પલટાવતો,

સુખી બનાવતો  ભાર લાંબા અનંત કાળનો,

રહસ્ય પકડી લેતો પ્રભુની સુખશાંતિનું.

મહામુદા છુપાયેલી જીવને જે તેની સમર્થના કરી

આત્માને રાખતો 'તો એ ચમત્કારી એના માર્ગતણી દિશે;

મૂલ્યો અમર એ આણી હોરાઓને સમર્પતો,

અને બનાવતો ન્યાય્ય સૂર્યોના શ્રમકાર્યને.

કેમ  કે પ્રભુની પૃષ્ઠભોમે એક હતું પરમ રાજતું.

૧૧૬


માતૃ-શક્તિ એક ચિંતાપરા સેવી રહી 'તી  વિશ્વલોકને;

છે તે સૌથી પરા તો ય એકેને ન નકારતી

ચેતનાએ ચમત્કારી મુખભાગ પોતાનો પ્રકટાવિયો :

આપણાં ભ્રષ્ટ માથાંની ઉપરે અવિનાશિની

પ્રહર્ષણભરી શક્તિ લહી એણે ઠોકરાતી હતી ન જે.

અમર્ત્ય સત્ય દેખાયું,

જે સૌ હ્યાં સરજાયે છે ને પછીથી જેનો નાશ કરાય છે

તેની નિત્યસ્થાયી શક્તિસ્વરૂપ છે,

માતા સૌ દેવતાઓની ને બધાંય બળોતણી,

જે મધ્યસ્થા બની યુક્ત કરી દે છે પૃથ્વીને પરમેશ શું.

આપણી સૃષ્ટિની રાત્રી પર રાજય જે સમસ્યા ચલાવતી

તે સમાપ્ત થઇ ગઈ,

આચ્છાદતી અવિદ્યાનો છદ્મવેશ હરાયો ને હણાઈ એ;

વસ્તુઓ પરના એના ભ્રાંતિએ ભર ચિત્તના

વાઘાઓ  વેગળા થયા,

સર્યા મંદ મનોભાવો એની ઈચ્છા કેરા વિકૃતિ આણતા.

સર્વ જોનાર તાદાત્મ્યે માના ઉજ્જવલા ધરી

જ્ઞાન-અજ્ઞાન બન્ને ના શકત બાથડવા રહ્યાં;

વિરોધો આસુરી મોટા

વિશ્વની ચાલબાજીમાં સામસામા ધ્રુવો શત્રુત્વ દાખતા

દ્વિગુણા પડદા કેરો માયારોપ કરી ના શકતા હતા,

આપણી ને અંબિકાની વચ્ચે આડા પડી ના શકતા હતા.

ઋતજ્ઞાન હતું પાસે સ્વકાર્યોના છળવેશે છુપાયલું,

તમોગ્રસ્ત જગત્ જેના જામારૂપ બનેલ છે.

અસ્તિત્વ લાગતું ન્હોતું નિરુદ્દેશ અધ:પતનના સમું.

ને લાગતું ન નિર્વાણ મોક્ષ કેવળ એકલો.

ગુપ્ત શબ્દ મળ્યો 'તો ને જેની દીર્ધ કાળથી શોધ ચાલતી

હતી તે હાથ આવ્યું 'તું સૂત્ર માર્ગ બતાવતું,

અચેતન અવસ્થામાં જડતાએ ભરેલી વસ્તુઓતણી

ને મર્ત્ય જિંદગી કેરી તિરસ્કૃત દશામહીં,

પૂર્ણતા જ્યાં નથી એવા દેહ ને મનની મહીં

રહેવાની સજા જેને થયેલ છે,

આપણા તે જીવના જન્મનો અર્થ પ્રકાશિત થઇ ગયો.

હૈયું એક લહેવાયું વિશાળાં ને ઉઘાડાં ગગનોમહીં,

૧૧૭


શુભ્ર અધ્યાત્મ ઉત્સોથી આવનારા દેદીપ્યમાન પ્રેમથી

અજ્ઞાન ગહનો કેરો શોક લુપ્ત થઇ ગયો;

અમર સ્થિરતામાં માના લય દુઃખતણો  થયો.

જીતી લીધું મૃત્યુને હ્યાં પારના એક જીવને;

ભૂલ ના કરવી એ તો છે સ્વાભાવિક આ સ્થળે;

જ્યાં બધું જ્યોતિ ને પ્રેમ ત્યાં બુરાઈ આવી ના શક્તિ હતી.

એનામાં યોગ પામ્યા 'તા નિરાકાર અને સાકાર બેઈએ.

સારી અસીમતાથી યે દૃષ્ટિ એક ચઢી ગઈ,

મુખે  એક કર્યું વ્યક્ત ખીચોખીચ અનંતને.

બળો સૃષ્ટિતણાં અંધ શોધે છે જે સીમામુક્ત મહામુદા,

તેને અવર્ણ્ય વિધિએ મૂત્તિમંત કરંતો અંગઅંગમાં

એનો સૌન્દર્યનો દેહ

વિરાજતો  હતો ચંદ્ર જેમ ભૂમાનંદના સિંધુઓ પરે.

જન્મ, આયાસ ને ભાગ્યતણે માથે ઊભી રહેલ એહ છે,

એને સાદે ચક્કરો લે મંદ મંદ એમના યુગના ક્રમો;

કાલ-કાલિયનો  પાયો માત્ર એના હસ્તો  જ બદલી શકે.

રાત્રિ જેને છુપાવે છે તે રહસ્યમયતા એહની જ છે;

કીમિયાગર જે ઓજ આત્માનું તે તદીય  છે;

છે એ સુવર્ણનો સેતુ, આશ્ચર્યમય અગ્નિ એ.

છે એ અજ્ઞાતનું  હૈયું પ્રકાશતું,

પ્રભુનાં ગહનોમાં એ શક્તિ નીરવતાતણી;

છે એ ઓજ અને છે એ શબ્દ જેના વિના નિર્વાહ થાય ના,

છે એ ચુંબક મુશ્કેલ આરોહે ઊર્ધ્વ ખેંચતું,

છે એ તે સૂર્ય જેમાંથી

આપણા સર્વ સૂર્યોને આપણે પ્રકટાવતા,

અસાક્ષાત્કૃત ધામો જે વિશાળાં ત્યાંથકી લળી

આવનારો પ્રકાશ એ,

છે એ આનંદ સંકેતે આમંત્રે જે અશક્યથી,

મહાસામર્થ્થ  છે સૌનું જે કદી યે નીચે અવતર્યું નથી.

સારી પ્રકૃતિ એને જ છે બોલાવી રહેલી મૂકભાવથી,

કે એના ચરણસ્પર્શે એ અનામય દે કરી

પીડાપૂર્ણ પ્રાણના ધબકારને,

 

માનવીના તમોગ્રસ્ત આત્મા પર મારાયલી

તોડે સીલ સમસ્તને,

૧૧૮


ને પ્રદીપ્ત કરે અગ્નિ પોતાનો એ

વસ્તુઓના બંધ હૃદયની મહીં.

છે અહીં તે બધું એક દિન ધામ એના માધુર્યનું થશે,

પરસ્પર વિરોધી છે જે બધું તે

એના સંવાદિતા સજજ  બનાવશે;

આપણું જ્ઞાન આરોહી રહ્યું છે એહની પ્રતિ,

એને માટે મારે છે ભાવ ફાંફાં બની ઉત્કટ આપણા

નિવાસ આપણો થાશે આશ્ચર્યોએ ભર્યા એના પ્રહર્ષણે,

એના આશ્લેષમાં દુઃખ આપણું પલટાઈને

મહામોદ બની જશે.

આપણો આત્મા સૌના યે આત્મા સાથે

એના દ્વારા એકરૂપ બની જશે. 

રૂપાંતર લભી એની મહીં, એને અનુરૂપ બની જઈ

જીવન આપણું એને જે પ્રત્યુત્તર આપશે

તેથી સાર્થકતા થાતાં

ઊર્ધ્વે, એ પામશે સીમાહીન શાંત મહાસુખો,

ને નીચે, દિવ્યતા કેરા આશ્લેષે છે તે મહાદભુત વસ્તુને.

જાણે કે પ્રભુના ગાજવીજના ચમકારમાં

તેમ વિજ્ઞાત આ થતાં,

શાશ્વત વસ્તુઓ કેરા મહાહર્ષે રાજાનાં અંગને ભર્યાં;

આશ્ચર્ય ઉતર્યું એની હર્ષોન્મત્તા મુગ્ધ સંવેદના પરે;

પકડાઈ ગયો એનો આત્મા માની અસહિષ્ણુતા ઉદર્ચિએ.

એક વાર માનાં દર્શન પામતાં

એક એને જ રાજાનું હૈયું સ્વીકારતું થયું.

અવશેષે રહી માત્ર ભૂખ અંત વિનાની સંમુદાતણી.

બધાં યે લક્ષ્ય એનામાં લયલીન થઇ ગયાં,

અને પાછાં પ્રાપ્ત એની મહીં થયાં;

એનો આધાર એકત્ર થયો ને તે

નિર્દેશંતો  સ્તૂપ એક બની ગયો.

 

બોવાયું એક આ રીતે બીજ અનંત કાલમાં.

ઉચ્ચારાતો શબ્દ એક, દર્શાવાતી અથવા જ્યોતિ એક કો,

ક્ષણ એક જુએ છે ને વ્યક્ત એને કરવા મથતા યુગો.

આમ અકાળમાંહેથી છલંગીને વિશ્વ આવ્યાં ઝબૂકતાં:

૧૧૯


નિમિત્ત વારસો કેરું છે એક ક્ષણ શાશ્વત

એણે જે સૌ કર્યું 'તું તે હતું કામ  તૈયારીનું જ ક્ષેત્રની;

એના તનક આરંભો માગતા 'તા ભીમકાય સમાપ્તિને :

કાં કે પોતે

તે બધું યે નવે રૂપે ઘડાવું જોઈએ હવે,

સંમૂર્ત્ત કરવા માટે એનામાં હર્ષ માતણો,

માનું સૌન્દર્ય-મહાત્મ્ય સ્થાપવાને એના જીવનમંદિરે.

પણ આત્મા હવે એનો જાત માટે બન્યો 'તો અતિશે બૃહત્ :

એના હૃદયની માગ માપી જાય નહીં એવી બની હતી :

મોક્ષ એનો એકલાનો સંતોષી શકતો ન 'તો,

પૃથ્વી ને  માણસો માટે

માની જ્યોતિ અને માનો હર્ષ એ માગતો હતો.

કિંતુ અજ્ઞાન ને મૃત્યુકેરી સીલ પૃથ્વી પર મરાયલી

તોડવા અમથાં મારે વલખાંઓ શક્તિ ને પ્રેમ માનુષી;

બાલ-પકડના જેવું લાગતું 'તું

અત્યારે તો ઓજ એના સ્વભાવનું;

ઝાલી લેવા પ્રસારેલા હસ્ત માટે

વધારે પડતું છે સ્વર્ગ ઊર્ધ્વમા.

મથામણે વિચારે વા આ પ્રકાશ ન આવતો;

મનના મૌનમાં કાર્ય પરાત્પરતણું થતું,

ને હૈયું ચુપકીદીમાં સાંભળે છે અનુચ્ચારિત શબ્દને.

એકમાત્ર હતું એનું બળ પાર વિનાની શરણાગતિ.

કરવું જોઈએ કાર્ય શિખરોએ રહેતી એક શક્તિએ,

જિંદગીના બંધ કક્ષે

અમરાત્માતણી એણે અણવી જોઈએ હવા,

ને સાન્તને ભરી દેવું જોઈએય અનંતથી

વિદારી નાખવાનું ને હણવાનું છે જે સૌ ઇનકારતું,

કચડી નાખવાની છે લાલસાઓ અનેકશ :

જેમને કારણે એક છે ગુમાવેલ આપણે-

એક જેને કાજ સર્જાયાં છે જીવન આપણાં.

એનામાં અવ પોકાર બીજા દવાઓએ ચૂપ કર્યો હતો :

માત્ર તલસતો 'તો એ

આકર્ષી આણવા માટે માનાં સાન્નિધ્ય-શક્તિને

પોતાને હૃદયે. ચિત્તે ને શ્વસંત શરીરમાં;

૧૨૦


આવાહી લાવવા નીચે એ ઝંખ્યા કરતો હતો

અંધકારમહીં દુઃખ સહેતી દુનિયાતણા,

રોગદોગ  મિટાવતો

સ્પર્શ માના પ્રેમનો ને સત્યનો ને મુદાતણો.

આત્મા મુક્ત થઇ એનો માને માત્ર સમર્પાઈ ગયો હતો.

૧૨૧


બીજો  સર્ગ   સમાપ્ત